Sri Lanka : ઉત્તરપશ્ચિમ શ્રીલંકા ના જંગલોમાં આવેલો એક બૌદ્ધ મઠ, જ્યાં ધ્યાન અને શાંતિ માટે વિશ્વભરના સાધકો આવતા હોય છે, તે બુધવારે રાત્રે સર્જાઈ કરુણાનિતા રૂહોઈ દુર્ઘટના . ‘ના ઉયાના અરણ્ય સેનાસનાયા’ નામના પ્રખ્યાત મઠમાં કેબલથી સંચાલિત એક ટ્રેન અચાનક પલટી ગઈ. આ ભયાનક દુર્ઘટનામાં એક ભારતીય સહિત કુલ 7 બૌદ્ધ સાધુઓના મોત થયા છે, જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે. આ ઘટનાએ કેબલથી ચાલતી ટ્રેનોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે .
પોલીસ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ અકસ્માત કોલંબોથી લગભગ 125 કિલોમીટર દૂર આવેલા નિકાવેરતિયાના મઠમાં થયો હતો. મઠના ઊંચા ઢાળ પર મુસાફરોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી કેબલ સંચાલિત ટ્રેનનો કેબલ અચાનક તૂટી ગયો. કેબલ તૂટતાં જ ટ્રેન બેકાબૂ બનીને ઝડપથી નીચેની તરફ ધસી પડી, પાટા પરથી ઉતરી ગઈ અને એક ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 સાધુઓમાં એક ભારતીય, એક રશિયન અને એક રોમાનિયન નાગરિકનો સમાવેશ થાય છે, જેઓ ધ્યાન અને આધ્યાત્મિક સાધના માટે અહીં આવ્યા હતા. ઘાયલ થયેલા 6 સાધુઓમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ મઠ તેના શાંત વાતાવરણ અને ધ્યાન કેન્દ્રો માટે ખૂબ જ જાણીતો છે, અને વિશ્વના વિવિધ ખૂણેથી સાધકો અહીં આવતા રહે છે. આ કરુણ ઘટનાથી અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
Sri Lanka માં ચાલતી કેબલ સંચાલિત ટ્રેન કેવી રીતે કાર્ય કરે છે?
આ અકસ્માત પછી, સામાન્ય લોકોમાં “કેબલ સંચાલિત ટ્રેન” વિશે ઉત્સુકતા વધી છે. આ એવી ટ્રેન છે જે એન્જિનથી નહીં, પરંતુ એક મજબૂત સ્ટીલના કેબલ દ્વારા ખેંચીને કે નિયંત્રિત કરીને ચલાવવામાં આવે છે. આ ટેકનોલોજી ખાસ કરીને પર્વતીય વિસ્તારો અને ઢાળ પર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ટ્રેનના કોચને પાટા પર ગોઠવવામાં આવે છે અને એક છેડે મજબૂત સ્ટીલનું દોરડું (કેબલ) જોડવામાં આવે છે. આ કેબલ મોટર અને પુલી સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. જ્યારે મોટર ચાલુ થાય છે, ત્યારે તે કેબલને ખેંચે છે, જેનાથી ટ્રેન ધીમે ધીમે ઉપર કે નીચે ગતિ કરે છે. આ સિસ્ટમ સપાટ ભૂમિ પર ચાલતી ટ્રેન કરતાં તદ્દન અલગ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઊંચા ઢાળ પર સરળતાથી અવરજવર કરવાનો છે.
જણાવી દઇએ કે, Sri Lanka ઉપરાંત, કેબલ સંચાલિત ટ્રેનો વિશ્વના ઘણા દેશોમાં પ્રચલિત છે. સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા અને જર્મની જેવા પર્વતીય દેશોમાં આ ટ્રેનો અત્યંત લોકપ્રિય છે, જ્યાં તે પ્રવાસીઓને રોમાંચક અને અનોખો અનુભવ પૂરો પાડે છે. જોકે, આ ટેકનોલોજી મુસાફરીને અનુકૂળ બનાવે છે, પરંતુ તેની સલામતી માટે ઉચ્ચ ધોરણો અને નિયમિત જાળવણી અત્યંત આવશ્યક છે.